રાનવઘણ

“લે આયરાણી,તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર.” એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને એક્કેક થાનોલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો.ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો.એણે પૂછ્યું, “કોણ આ ?”
ઉપરકો ટ - જુનાગઢ
આયર ઢૂંકડો આવ્યો.નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું,“મોદળનો રા’-જૂનાણાનો ધણી.”
“આંહીં ક્યાંથી ?”“એ…. જૂનાગઢનો રાજપલટો થયો.ગુજરાતમાંથી સોળંકીનાં કટક ઊતર્યાં. ને તે દી’ સોળંકીની રાણિયું જાત્રાએ આવેલી તેને દાણ લીધા વિના રા’ડિયાસે દામેકુંડ ના’વા નો’તી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી’તી ને. તેનું વેર આળ્યું આજ ગુજરાતના સોળંકીઓએ. રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રા’ને રસાલા સોતો જમવા નોતર્યો.હથિયાર-પડિયાર ડેલીએ મેલાવી દીધાં.પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ, બેય જીતી લીધાં.”
“આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું ?” દીકરા-દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી.
“બીજી રાણિયું તો બળી મૂઇ, પણ આ સોમલદેને ખોળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડી રખડીને મરી ગઇ. પણ આ બેટડાને એક વડારણે આંહીં પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે.”
“અહોહો ! ત્યારે તો મા વિનાના બાળ ભૂખ્યોતરસ્યો હશે.ઝટ લાવો એને,આયર !” એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી.બોલી, “બાપ જાહલ ! મારગ કર આ આપણા આશરા લેનાર સારું. તું હવે ઘણું ધાવી; ને તું તો દીકરીની જાત;પા’ણા ખાઇનેય મોટી થાઇશ;માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ.”
એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠો મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘૂંટડા ઉતારવા મંડ્યો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એને દિલમાં જાગી ઊઠ્યો,પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઇ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.
દેવાયત નિહાળી રહ્યો. બાઇએ કહ્યું,“તમતમારે હવે ઉચાટ કરશો મા. મારે તો એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત. બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ, જાહલ તો વાટ્યમાં પડી પડીય વધશે. એનો વાંધો નહિ.”
“પણ તું હજી સમજતી નથી લાગતી.”
“કાં ?”
“વાંસે દા બળે છે, ખબર છે ને;સોળંકીઓએ જૂનાણા માથે થાણું બેસાર્યું છે.એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થશે તો આપણું જડમૂળ કાઢશે.”
“ફકર નહિ,મોરલીધરનાં રખવાળાં.તમતમારે છાનામાના કામે લાગી જાવ.આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય.તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે. ભલે સોળંકિયુનો થાણેદાર જીવતું ચામડું ઉતારતો.”
દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગે અંગે હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી.
“બાપા ! તું તો આઇ ખોડિયારનો,ગલધરાવાળીનો દીધેલો.તારી વાત મેં સાંભળી છે.તું તો રા’ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંના રાજપાટ હતાં.છતાં ચકલાંયે એના ઘરની ચણ્ય નો’તાં ચાખતાં.તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઇ ખોડિયારને ઓરડે પહોંચી’તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો.દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયાં’તાં અને તારી માને તો તું જરાપણમાં જડેલો. મા તારી માગતી’તી કે;
દેવી દેને દીકરો, (હું) ખાંતે ખેલાવું, જોબન જાતે નો જડ્યો, (હવે) જરાપણે ઝુલાવું.
“ને તારાં તો ઓધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો માનો દુશ્મન હતો, ડાયલા !” એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઇ રહ્યો. “તું તો માના ઓદરમાંથી નીકળતો’તો જ ક્યાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા’ર નીકળ ને ! પૂતળું ભોંમાં ભંડારેલ, ત્યાં સુધી તું યે માના પેટમાં પુરાયેલ: પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઇ. એણેય સામાં કપટ કર્યા. ખોટેખોટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઇ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઇ પૂતળું તપાસવા. ભોંમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો, હે દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચોસાચ અવતરે ચૂક્યો. સાંભળ્યું, મારા મોભી ?’
કોઇ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતો દીઠો. ઝોંટૈને સામે પડેલી ધાવવા સારુ પાછાં વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણેય છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણેય જણાં ઘૂઘવાટા કરવા લાગ્યાં.
પાંચેક વરાની અવધ વટી ગઇ હતી. વાહણ, નવઘણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણેય છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથળીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું. થાણેદારે ગામફરતી એવી ચોકીબેસાડી દીધી કે અંદરથી બહાર કોઇ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાઓને તેડાવી ઝરડકી દેવા માંડી :”બોલો, દેવાયત બોદડના ઘરમાં ડિયાસનો બાળ છે. એ વાત સાચી ?”
તમામ આહીરોએ માથાં ધુણાવીને ના પાડી, “હોય તો રામ જાણે; અમને ખબર નથી.”
“બોલો, નીકર હું જીવતી ખોળ ઉતરડી દઇશ. હાથેપગે નાગફણિયું જડીશ.”
આહીરાણીનું ધાવણ ધાવેલા એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડ્યો. પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઇ ગયું હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઇ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂછ્યું, “આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી ?”
રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દોગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો, ”સાચી વાત, બાપા ! સહુ જાણે છે. મલક છતરયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે.”
આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી ગઇ. સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઇ દેશે. “આપા દેવાયત !” થાણેદારે મે’ણું દીધું, “રાજાના શત્રુને દૂધ પાઓ છો કે ? રાજનું વેર શીદ વહોર્યું ? સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડ્યાં છે કે ?”
“કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ?”
“ત્યારે ?”
“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”
આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઇ ગયો લાગ્યો. કંઇકને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીઓની સમશેરો વીંટાઇ વળી હતી. ત્યાંથી કોઇ ચસ દઇ શકે તેમ નહોતું.
“ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો.”
“ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં.”
દેવાયતે અક્ષરો પાડ્યા કે “આયરાણી, નવઘણને બનાવી ઠનાવી રાજની રીતે આંહીં આ આવેલા આદમી હારે રવાના કરજે.” વધુમાં ઉમેર્યું કે “રા’રખતી વાત કરજે.”
“રા’ રખતી વાત કરજે !” એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડ્યા. જઇને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વહાણની મા બધું છલ વરતી ગઇ.
“હં-અં બાપુ !અમે તો ઇ જ વાટ જોઇને બેઠા’તાં; ઇ લાલચે તો છોકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું.”
એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણેય બચ્ચાંને દીઠાં. “વાહણ! દીકરા! ઊઠ્ય, આંહીં આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવાં લૂગડાં-ઘરેણાં પહેરાવું:” એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું. ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડ્યાં આવ્યાં “માં, મને નહિ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઇ ભેળું.” એવું બોલતા નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુ:ખ લાગ્યું. બાળહૈયાને ઓછું આવ્યું. આજ સુધી તો મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી. અને આજ મને કાં તારવે છે? વાહણભાઇને હથિયાર-પડિયાર સજાવી માએ એના ગળે ચાર ચાર બચ્ચીઓ લઇ, ચોખા ચોડેલા ચાંદલા સોતો જ્યારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. “બેટા વાહણ ! વે’લો આવજે“ એટલું બોલી મા ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઇ, ’વાહણને છેતરીને વળાવ્યો; આશરાધર્મના પાલન સાટુ.’
“લ્યો, બાપા ! આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સંભાળી લ્યો !”એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કોરે આહીરાણી સાંભરતી હતી. બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો.”આયરાણી! ઝાઝા રંગ છે તને, જનેતા! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો.’
આહીર ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઇ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ ન દેખાઇ. ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાનદારના કાન ફૂંક્યા કે :”તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડ્યો છે.”
“ત્યારે આ હત્યા કોની થઇ ?”
“એના પોતાના છોકરાની.”
“જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો.”
“દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે.”
“ત્યારે હવે શી રીતે ખાતરી કરશો ?”
“બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચી આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટનો જન્યો મર્યો હશે, તો એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે.”
આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું, “જો આ તારો બાળક ન હોય તો એની આંખો પર પગ મૂક.” દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથાપર તો સાતેય આકાશ જાણે તૂટી પડ્યાં.
પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહનની આંખો ચગદી. સૂબેદારને ખાતરી થઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.
પાંચ વરસનો નવઘણ જોતજોતામાં પંદર વરસની વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભોંયરામાંથી બહાર નીકળવા ચાહતું જ હતું, પણ દેવાયત એને નીકળવા કેમ દે! એક વખત તો નવઘણ જબરજસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઇલાજ ન રહ્યો. સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો. સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતા જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તો દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું. ઊંચકાતાં ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચોંટ્યું હોય એમ લાગ્યું.
અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું. દેવાયત સમજી ગયો. તે વખતે તો સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોર ભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે 'બસ! હવે આ બાળકનો સમો આવી પહોંચ્યો.'
દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે 'જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો.'
પહાડ સમાં અડીખમ શરીરોવાળા, ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારોઅ આહીરોની દેવાયતને આંગણે જમાવટ થઈ. સહુની પાસે ચકચકતાં ઢાલ, તરવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે બૂઠી તરવારના ઘાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભોગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા, આજે જે નાતના પટેલને ઘરાઆંગણે પહેલો જ અવસર હતો, એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડ્યાં. દેવાયતે તેડું મોકલેલું કે, "પાઘડીનો આંટો લઈ જાણનાર એકીક આયર આ સમો સાચવવા આવી પહોંચજો." આહીરની આખી જાત હૂકળી.
દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું: "આ મારે પહેલવહેલો સમો છે. વળી હું સોલંકીરાજનો સ્વામીભક્ત છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવા છે. ભાઈઓ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢે તેડું કરવા જાવું છે."
ઘોડે સાંઢિયે રાંગ વળેને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયતની દીકરીના વિવહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકીઓનાં ઠાણમાં ઘોડાંએ ખૂંદણ મચાવી.
જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂકેટૂકે દીવા તબકતા હતા.
દેવાયતનું વેણ ફરી વળ્યું "ભાઈઓ, ઘોડાં લાદ કરી લ્યે એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘોડાં-સાંઢિયાના ઊગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો."
સોય પડે તોય સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલા દીકરા નવઘણને માથી હાથ મેલીને પૂછ્યું "આને તમે ઓળખો છો?" સહુ ચૂપ રહ્યા.
"આ પંડે જ ડિયાસનો દીકરો નવઘણ. તે દી એને સાટે કપાયો એ તો હતો નકલી નવઘણ; મારો વહાણ હતો એ. એ જોઈ લ્યો સહુ. આ જૂનાણાના ધણીને."
ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયો હતો.
દેવાયતે કહ્યું, "આહીર ભાઈઓ! આજ આપને સોળંકી રાજને વિવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાલને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે એવી કઈ ઠારકે પરણાવું? આની મા - મારી ધર્મની મનેલી બોન - મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે?"
દેવાયતે નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો, "જુવાન! તું મોદળનો ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડ્યું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંક જુગનું એ પડ્યું છે. સોળ વરસથી એ અબોલ બેઠું છે. આજ તારી ભુજાઓથી એને દાંડીના ઘાવ દેજે. એકો એક આયર તારી ભેરે છે."
નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાં દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂક્યો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયો હતો. તેનું વેર રાતનાં અંધારામાંથી જાણે પોકારી ઊઠ્યું.
"ત્યારે શું? જે મોરલીધર!" દેવાયતે સવાલ પૂછ્યો.
"જે મોરલીધર!" ડાયરાએ બોલ ઝીલ્યો. કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘોડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો. ગીરકાંઠાનો આહીર ડાયરો આજે તેડે આવે છે, ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સોલંકીઓના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં આદરમાન દેવા સારુ ખડા હતા. હજારો આહીરો ઉપરકોટમાં ઉકળી રહ્યા, અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજરે પડ્યું.
"આપા! આવડું મોટું આ શું છે?" નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.
"બાપ! ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલટો થાય."
"એમ? તંઈ તો ઠીક!" કહી નવઘણ ઠેકી પડ્યો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવા: રદીબામ! રડીબામ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્ય. ગરવો ધણધણી ઊઠ્યો. અડીકડી વાવમાંથી અવાજ ઊઠ્યા, દીવાલે દીવાલ બોલી એ 'આવ્યો! આવ્યો! કાળદૂત આવી પહોંચ્યો!' અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીઓના લોહીની નદીમાં પાશેર પાશેરનો પા'ણો તણાયો.
પ્રભાતના પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરોનાં થાણાં ઠેરઠેર બેસી ગયાં. "હાં! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી ક્યે સુખે સંસાર માંડા! બાપ, સોરઠના ધણી! હવે તો બોનના હાથે તિલક લેવા આલિદર પધારો."

 COURTESY- FOLK  & CHARNI  LITERATURE (FACEBOOK)

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની